જુનાગઢ જીલ્લાના ૧૪૦૦ ચો.કીમી વિસ્તાર માં ફેલાયેલા ગીર નાં જંગલમાં નેહવાસી
જીવન જીવતા માલધારી રાજભા ગઢવી એ ગીરની પ્રકૃતિ ને વિવિધ ઉપમા
આપી કવિતા રચી છે, એ પૈકી કેટલાક અંતરા અત્રે રજુ કરેલ છે
હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી
વાયુ ઝપાટે ઝાડવા ઝૂલે હાલતા હિંચક લઈ
જમના કાંઠે જાદવા હારે ગોપીયું ઘૂમી રઈ
શાદુળાની ડણકયું વાગે જશોદાની છાશ ફેરાતી
હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી
કેશુડા કેરી કળીયુ ખીલી જાણે ઉગતો સુરજ રૂપ
ટોચ ડુંગરડેથી ચાંદલો ઉગે શિવ શિરે ગંગ મુખ
રીંછડીયુ ડુંગરા ટોચે જોગી બેઠો ચલમ્યુ ફૂંકે
હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી
ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ
લાલ પાઘડીયે લાડડો રૂડો વીર શોભે વરરાજ
વાદળિયું વારણા લેતી જાનડીયુ કાનમાં કેતી
હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી
- કવિ શ્રી રાજભા ગઢવી
prakrutini prathna